
કેમ્બ્રિજ, મેસેસ્યુસેટ્સ | ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ | રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીની જન્મજયંતિ, તુલસી જયંતિ, બુધવારે હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની નવ દિવસીય રામકથા ‘માનસ ગુરુ પ્રસાદ’ અંતર્ગત ઉજવવામાં આવી હતી. ઐતિહાસિક પ્રસંગરૂપે, તુલસી જન્મોત્સવ અંતર્ગત વર્ષ 2010થી ગુજરાતના તલગાજરડામાં દર વર્ષે આપવામાં આવતા તુલસી, વ્યાસ, વાલ્મીકિ અને રત્નાવલી પુરસ્કારો પ્રથમવાર ભારતની બહાર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગ મોરારી બાપુ દ્વારા 16 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી એ પરંપરામાં એક મહત્વપૂર્ણ નવો અધ્યાય ઉમેરે છે, જેના માધ્યમથી ગોસ્વામી તુલસીદાસજીના સાહિત્યિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ, તેના અર્થઘટન તથા રામકથાની પરંપરાને આગળ વધારવામાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે છે.
મોરારી બાપુ માટે તુલસી જયંતિના આ સમારોહને અમેરિકા લઈ જવાનો હેતુ સદીઓ જૂની ભારતીય સાહિત્યિક અને આધ્યાત્મિક પરંપરાને વૈશ્વિક શ્રોતાઓ સાથે સંવાદમાં લાવવાનો પણ છે. હાર્વર્ડના સેન્ડર્સ થિયેટરમાં યોજાયેલા આ સમારોહમાં સંતો, વિદ્વાનો, કથાકારો, સંગીતકારો, કલાકારો તેમજ શૈક્ષણિક જગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ વિવિધ સંસ્કૃતિઓ અને વિષયક્ષેત્રોમાં રામાયણ તથા રામચરિતમાનસ પ્રત્યે સતત વધી રહેલી રુચિને દર્શાવે છે.
તુલસી જયંતિના પાવન અવસરે 19 ઑગસ્ટ, 2026ના રોજ તુલસી જન્મોત્સવ અને ગ્લોબલ એવોર્ડ્સ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય મોરારી બાપુના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ તેમની ‘માનસ ગુરુ પ્રસાદ’ રામકથા અંતર્ગત આયોજિત આ સમારોહમાં નવ વિશિષ્ટ વિદ્વાનો, આધ્યાત્મિક લીડર્સ અને સાંસ્કૃતિક ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓને આઠ પ્રતિષ્ઠિત પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
વાલ્મીકિ યૂસી બર્કલેના પ્રોફેસર સૈલી જે. સધરલેન્ડ ગોલ્ડમેન અને પ્રોફેસર રોબર્ટ ગોલ્ડમેનને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો હતો. વાલ્મીકિ પુરસ્કાર ઓસાકા યુનિવર્સિટીની પ્રોફેસર મડોકા ફુકુઓકાને પણ એનાયત કરવામાં આવ્યો હતો.
વ્યાસ પુરસ્કાર કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર જ્હોન સ્ટ્રેટન હોલે, અમેરિકા સ્થિત વિદ્વાન ડૉ. અશ્વિનભાઈ કાંતિલાલ રાજગોર તથા જાણીતા આધ્યાત્મિક વક્તા દેવી ચિત્રલેખા (ભારત)ને એનાયત કરવામાં આવ્યો હતો.
તુલસી પુરસ્કાર યૂટી ઑસ્ટિનના પ્રોફેસર રૂપર્ટ સ્નેલ અને સામુદાયિક નેતા પિયુષભાઈ મહેતાને એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે રત્નાવલી પુરસ્કાર હાર્વર્ડ યુનિવર્સિટીની પ્રોફેસર ડાયના એલ. એકને તુલનાત્મક ધર્મ તથા ભારત અભ્યાસના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર કાર્ય બદલ એનાયત કરવામાં આવ્યો હતો. હાર્વર્ડ ખાતે આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવામાં તેમનું યોગદાન પણ મહત્વપૂર્ણ રહ્યું હતું.
પુરસ્કાર વિજેતાઓનું આ વૈવિધ્યસભર સમૂહ ભારતના શાસ્ત્રીય સાહિત્ય સાથે વધી રહેલા આંતરરાષ્ટ્રીય જોડાણ તેમજ રામાયણ અને ગોસ્વામી તુલસીદાસજીના વારસાની વૈશ્વિક પ્રાસંગિકતાને ઉજાગર કરે છે.
આ પ્રસંગે મોરારી બાપુએ કહ્યું, “પત્રં પુષ્પં ફલમ્ — જેસે પરમાત્મા કે ચરણો મેં હમ કુછ સમર્પિત કરતે હૈ, પુષ્પ ભી ઉસીને ખિલાયે હૈ, પત્ર ભી ઉસીને ટહનિયો કો દીયે હૈ, ફલ ભી ઉસીને લગાયે હૈ. ફિર ભી હમ વહી લેકર ઉસિકો સમર્પિત કરતે હૈ. મૈં અપને હૃદય કે વિચાર પ્રસ્તુત કર રહા હું.
બાપુએ વધુમાં કહ્યું કે, “મેરે મન મેં , મેરે દિલ મેં, ત્રિભુવન કી કૃપા કે કારણ, માઁ સાવિત્રી કે કારણ ઇતની પ્રસન્નતા રહતી હૈ કી મેરે દેશ કઈ વ્યાસપીઠો કી વંદના હો. ઔર ઇસ વંદના કે ઉપક્રમ મેં આજ જિન-જિન મહાનુભાવો કો યે વ્યાસ પુરસ્કાર, વાલ્મિકી પુરસ્કાર, તુલસી પુરસ્કાર ઔર માઁ રત્નાવલી કે નામ સે પુરસ્કાર પ્રદાન કિયા ગયા ઔર આપ સભી ને હમારી વંદના સ્વીકાર કી, ઇસલિયે મેરે સભી સાધુ-સંતો કા આશીર્વાદ લેકર હમ આપકો પ્રણામ કરતે હૈ. હમ આપકી વંદના કરે ઔર આપ ‘થેન્ક યૂ’ કહે, યહ મુજે રાસ નહીં આતા. ઇસલિયે આપકી પ્રતિક્રિયા, આપકી આંખો સે, આપકે દિલ કી ધડકનો સે મૈ સમજ સકતા હું ઔર આપકો પ્રણામ કરતાં હું.
આ રામકથાના મુખ્ય આયોજક પાવન પોપટ OBEએ જણાવ્યું હતું કે, “બાપુ દ્વારા આપવામાં આવેલ સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ રામકથા મારફતે એવી બાબત પ્રદાન કરે છે, જે સંપૂર્ણપણે સાર્વત્રિક છે — સ્વીકાર, આનંદ અને પ્રેમની એવી અનુભૂતિ, જે ભૌગોલિક સીમાઓ અને સંસ્કૃતિઓથી ઉપર છે. તુલસી જન્મોત્સવ અને તેના પુરસ્કારોને હાર્વર્ડ સુધી લાવવા એ આ યાત્રાનું સ્વાભાવિક વિસ્તરણ છે. આ રામચરિતમાનસની કાલાતીત જ્ઞાનપરંપરાને એવા વૈશ્વિક શ્રોતાઓ સુધી પહોંચાડી રહ્યું છે, જેઓ તેના મૂલ્યો અને આદર્શો તરફ ઝડપથી આકર્ષાઈ રહ્યા છે.”
મોરારી બાપુએ વર્ષ 2010માં તુલસી જયંતિ કાર્યક્રમની શરૂઆત એવા વ્યક્તિઓને સન્માનિત કરવાના ઉદ્દેશથી કરી હતી, જેમણે પોતાનું જીવન રામકથા અને રામચરિતમાનસની પરંપરાના સંરક્ષણ, અર્થઘટન અને તેના પ્રસાર માટે સમર્પિત કર્યું છે. ત્યારથી દર વર્ષે ગુજરાતના તલગાજરડામાં તુલસી જન્મોત્સવના અવસરે સંતો, વિદ્વાનો, કથાકારો અને અન્ય ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોને એકસાથે લાવવામાં આવે છે. વર્ષ 2026માં આ કાર્યક્રમ અમેરિકાની ધરતી પર પહોંચ્યો છે અને તુલસી જન્મોત્સવની આ પરંપરાને વૈશ્વિક શ્રોતાઓ સુધી લઈ ગયો છે.
હાર્વર્ડ ખાતે યોજાયેલ તુલસી જયંતિનો આ આંતરરાષ્ટ્રીય સમારોહ એક નવા અધ્યાયનું પ્રતીક છે. આ આયોજન તુલસીદાસજીની કથા, કાવ્ય અને આધ્યાત્મિક ચિંતનને નવા શ્રોતાવર્ગ તથા નવા પરિપ્રેક્ષ્ય સુધી પહોંચાડે છે, જ્યારે આ પરંપરાની મૂળ ભાવનાને યથાવત્ જાળવી રાખે છે.
મોરારી બાપુ વિશે
મોરારી બાપુ રામાયણના પ્રખ્યાત વ્યાખ્યાતા છે અને છેલ્લા છ દાયકાથી વિશ્વભરમાં રામકથાનું વાચન કરી રહ્યા છે. તેમની કથાનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક શાંતિ તથા સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ પ્રસરાવવાનો છે. કથાનું કેન્દ્ર સ્વયં ધર્મગ્રંથ હોય છે, પરંતુ બાપુ અન્ય ધર્મો અને આધ્યાત્મિક પરંપરાઓના ઉદાહરણો પણ રજૂ કરે છે તથા તમામ ધર્મના લોકોને રામકથામાં જોડાવા માટે આમંત્રણ આપે છે.
ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત રામાયણના લોકપ્રિય સ્વરૂપ રામચરિતમાનસનું વાચન કરવાની બાપુની આ નોંધપાત્ર યાત્રાની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે તેઓ માત્ર 14 વર્ષના હતા અને ત્રણ ગ્રામ્ય શ્રોતાઓ સમક્ષ કથા કરી હતી. આજે તેમની આ યાત્રા વિશ્વના વિવિધ ભાગો સુધી પહોંચી છે — ભારતના અગ્રણી શહેરો અને તીર્થસ્થળોથી લઈને શ્રીલંકા, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, કેન્યા, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા, ઇઝરાયેલ અને જાપાન સુધી — જ્યાં લાખો લોકોએ તેમની રામકથાનું શ્રવણ કર્યું છે.
મોરારી બાપુએ અનેક સામાજિક રૂઢિઓ અને ભેદભાવથી ઉપર ઉઠીને સમાજના વિવિધ વર્ગો માટે રામકથાનું આયોજન કર્યું છે, જેમાં સેક્સ વર્કર્સ, ટ્રાન્સજેન્ડર સમુદાય તથા સમાજના હાંસિયામાં રહેલા લોકોનો પણ સમાવેશ થાય છે. તેઓ ભારત તેમજ વિદેશોમાં આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં સહાય પહોંચાડવાના કાર્યોમાં પણ સક્રિય રહ્યા છે, જેમાં યુદ્ધગ્રસ્ત યુક્રેન જેવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.
== સમાપ્ત ==
Aajna Samachar