પરમાત્માને કેન્દ્રમાં રાખીને કોઈ પણ કથા શ્રેષ્ઠ છે.

Spread the love

કથાનાં આદિ,મધ્ય અને અંતમાં પરમ તત્વની સ્થાપના થવી જોઈએ.
પૂરેપૂરા ખોવાઈ જાઓ તો વ્યાસપીઠ આપને ખોજે છે.
ખરાબ સંગથી શરીરનાં રસાયણ,મન અને વાણી પણ બદલી જાય છે.
સાધુનો સંગ પાપ,તાપ,સંતાપ-બધું જ હરે છે.
માણસ કેટલાય કરોડોમાં વેંચાઈ જાય પણ એની કિંમત બે કોડીની થઈ જાય છે કારણ કે એ વેંચાઈ ગયો છે!

મહારાષ્ટ્રનાં લાતુર પાસે અર્પણ-તર્પણની ભૂમિ કિલ્લારી ખાતે ચાલી રહેલી રામકથા રવિવારે બીજા દિવસમાં પ્રવેશી ત્યારે જણાવ્યું કે રામકથા ખૂબ રહસ્ય પૂર્ણ છે આવું કહેલું.પૂછાયું છે કે હું તો કૃષ્ણ કથા વધુ ગાઉ છું, પણ શિવકથા, દેવીભાગવત, કૃષ્ણ કથા, રામકથા-આ બધામાં શ્રેષ્ઠ કોણ છે?

બાપુએ કહ્યું કો બડ છોટ કહત અપરાધુ… પરમાત્માને કેન્દ્રમાં રાખીને કોઈ પણ કથા શ્રેષ્ઠ છે. આદિ,મધ્ય અને અંતમાં પરમાત્મા હોવા જોઈએ.હું રામકથા ગાઉ છું તો એનો મહિમા કરીશ.વિશ્વામિત્ર સાંકેતિક ભાષામાં કહે છે રઘુનાથનું ચરિત્ર શત કોટી વિસ્તરિત છે.જેનો એક-એક અક્ષર મહાપાતકનો નાશ કરનાર છે.તુલસી કહે છે રામકથા મહામંત્ર છે. જે એનો આશ્રય કરે છે એના કઠિનમાં કઠિન લેખ પણ મિટાવી દે છે.વાલ્મિકીજી આદિકવિ છે અને આદિ અનાદિ સર્જક ભગવાન શિવ પણ એ જ દાવો કરતા રામ કથાનો મહિમા કરે છે.શિવ,વાલ્મીકિ, વિશ્વામિત્ર કહે એ તો સમજ્યા પણ મહારાષ્ટ્રનાં સમર્થ સ્વામી રામદાસજી કહે છે ગણપતિની કથા, કાર્તિકેયની કથા,શંકરની સૂર્યની કથા આ બધી જ કથાઓની વચ્ચે રાઘવની કથા શ્રેષ્ઠ છે.એક તો કથા દુર્લભ છે એટલે મહાન છે અને ઓળખાણ થઈ જાય તો એ અમોઘ છે.મારું એટલું જ કહેવું છે કે કથાનાં આદિ,મધ્ય અને અંતમાં પરમ તત્વની સ્થાપના થવી જોઈએ.

રામચરિત માનસમાં વાલ્મીકિ શબ્દ સાત વખત અને આરતીમાં એક વખત એમ આઠ વખત આવ્યો છે. પાદુકા હોય ત્યાં બુદ્ધપુરુષને આવવું પડે એટલું જ નહીં બુદ્ધપુરુષ ત્યાં જ હોય છે.અમારી પાસે દાદાની પાદુકા છે.મને ક્યારેય નથી લાગ્યું કે એ નથી.

અત્યંત નામ સ્મરણ,જેનું વધી જાય છે એના કપાળની હાથની અને ચરણની રેખા એ ખુદ વાંચે છે નારદ,કુંભજ અને વાલ્મીકિજીએ પોતાનું ચરિત્ર ખુદ કહ્યું છે.જ્યોતિષ તો બીજાનું આગમ બતાવે છે. પૂરેપૂરા ખોવાઈ જાઓ તો વ્યાસપીઠ આપને ખોજે છે.

વાલ્મીકિજી કોણ છે એના જ મુખથી એનું ચરિત્ર કહેતા બાપુએ કહ્યું:મૂળ નામ રત્નાકર.પણ સંગ બગડ્યો,લૂંટારોની ટોળીમાં સામેલ થઈ ગયા. ખાનપાન બગડી ગયું.હત્યાઓ કરવા માંડ્યા.એક હત્યા કરે તો એક કાંકરો ઘડામાં નાખે,આવા સાત ઘડાઓ કાંકરાઓથી ભરાયેલા એટલી હત્યાઓનો ઉલ્લેખ છે!દસ્યુઓ સાથે રહીને રત્નાકર દસ્યુ લૂંટારો ડાકુ થઈ ગયો.ખરાબ સંગ કરવાથી શરીરનાં રસાયણ,મન અને વાણી પણ બદલી જાય છે. પ્રાચિતાનો રત્નાકર દસ્યુ બની ગયો!

એક વખત મહર્ષિ નારદ દેવલોકમાંથી વિણા વાદન કરતા પૃથ્વીલોક પર આવ્યા.સાંભળીને રત્નાકર બહાર નીકળ્યો સ્વભાવ ઉગ્ર,પણ નારદનાં હરિનામે એને ખેંચ્યો.અંગૂલીમાલ અને બુદ્ધ જેવી વાત બની પૂછ્યું મહારાજ તમે કોણ છો?નારદ કહે મને લોકો નારદ કહે છે.નિવાસ ક્યાં છે?મારો કોઈ નિવાસ નથી રત્નાકર કહે મારું નામ સાંભળ્યું છે?નારદ કહે મને નારાયણનું નામ મળી ગયું પછી બીજાના નામનું શું કામ!હાથમાં શું છે?એ વિણા છે.અને ખિસ્સામાં શું છે?નારદ કહે ખિસ્સું જ નથી.આમ તો કંઈ નથી પણ આમ જુઓ તો બધું જ મારી પાસે છે.નારદની તલાશી લેતી વખતે રત્નાકરનો સ્પર્શ સાધુનાં શરીરને થયો અને પુનર્જન્મની શરૂઆત થવા માંડી.

ગંગાજી પાપ ધોવે છે,ચંદ્રમાં તાપ હરણ કરે છે, કલ્પતરુ ગરીબી મિટાવે છે;પરંતુ સાધુનો સંગ સાધુ સમાગમ પાપ,તાપ અને સંતાપ-બધું જ હરે છે.રત્નાકરનાં ચિત્તની વૃત્તિ બદલવા માંડી.

ચિતની પાંચ દશામાં:મૂઢ દશા,વિક્ષિપ્ત દશા, ક્ષિપ્ત-સ્થિર દશા,એકાગ્ર દશા અને નિરુધ્ધ દશા. રત્નાકરે પૂછ્યું તમે જે હરિનામ લો છો એ હરિ કોણ છે?નારદ કહે એ બધું જ છે.શું એ આપ જેવા મહાત્માઓ પર જ કૃપા કરે છે?ના,એ બધા ઉપર કૃપા કરે છે.પછી નારદે પૂછ્યું કે તું આ બધું શા માટે કરે છે?પેટ તો કાગડા કૂતરાઓ પણ ભરે છે પણ હત્યાઓ કરતા નથી.રત્નાકર કહે મારો આખો પરિવાર છે.નારદ કહે આવા કુકર્મ કરનારની ભયાનક દુર્ગતિ થાય છે.

માણસ કેટલાય કરોડોમાં વેંચાઈ જાય પણ એની કિંમત બે કોડીની થઈ જાય છે કારણ કે એ વેંચાઈ ગયો છે!નારદ કહે તારો પરિવાર પાપનો ભાગીદાર થશે?ઘરે જઈને પૂછીને આવ. ત્યારે રત્નાકર નારદને વૃક્ષ સાથે બાંધી ઘરે પૂછવા ગયો.સાધુને બાંધો સાધુ તમને મુક્તિ આપશે.પરિવારે ના કહી,પાછો આવ્યો અને પ્રાયશ્ચિત કર્યું ત્યારે નારદ કહે હરિનામ લો. પરંતુ ઘૃણા,લજ્જા શોક,ભય,જુગુપ્સા-સંકોચ જાતિ વર્ણ અભિમાન,કૂલ અભિમાન,આત્મજ્ઞાનનું અભિમાન-આ આઠ પાશ-બંધન માણસને હરિનામ ગાવા દેતા નથી.

રત્નાકર કહે હું હરિનામ નહીં બોલી શકું.નારદ કહે તું સૌથી વધારે શબ્દ કયો બોલે છે?ત્યારે રત્નાકરે કહ્યું મરા-મરા શબ્દ બોલું છું.નારદે કહ્યું એમ બોલતો રહે આ ઊલટા નામનાં જપથી એનો પુનર્જનમાં થવા માંડ્યો.નારદ નીકળી ગયા.રત્નાકર તો જપવા માંડ્યો ધીમે-ધીમે માટીનો રાફડો બની ગયો.આખું શરીર ઢંકાઈ ગયું.બોલી નહોતો શકતો તો અસ્તિત્વ બોલવા લાગ્યું.ઘણા સમય પછી નારદ પાછા વિણા વગાડતા આવ્યા.શોધવા લાગ્યા તો એ વૃક્ષ દેખાયું.

વલમીક-રાફડો દેખાયો.એ હટાવ્યો તો ઉલટો જાપ કરીને શુદ્ધ બની ગયેલો વલ્મીકમાંથી પ્રગટ્યા એટલે વાલ્મીકિ નામ આપ્યું.નવજીવન થયું અને આદિ કવિ વાલ્મીકિ બન્યા.એ પછી સીતાજી બીજી વખત સગર્ભા હતા એ વખતે વાલ્મીકિજીનાં આશ્રમમાં નારદ આવે છે ત્યારે વાલ્મીકિજી પૂછે છે કે સાંપ્રત સમયમાં આટલા તમામ લક્ષણો હોય એવો મહાપુરુષ કોણ છે?નારદ કહે છે એ રામ છે એના ચરિત્ર વિશે લખો.અને ત્રેતાયુગની એ ઘટના વાલ્મીકિજી દ્વારા રામાયણના રૂપમાં લખાઇ.

રામ વાલ્મીકિનાં આશ્રમમાં આવ્યા.રહેવાનું સ્થાન પૂછ્યું ત્યારે વાલ્મીકિજી કહે પહેલા એ બતાવો કે તમે ક્યાં નથી?રામ કહે હું તો બધે જ છું પણ મારી સાથે લક્ષ્મણ અને સીતા ક્યાં રહેશે?ભક્તિ અને વૈરાગ્યના સ્થાન પણ બતાવો. વાલ્મીકિજી ૧૪ સ્થાન બતાવે છે.

કથા ક્રમમાં હનુમંત વંદના પછી સિતારામની વંદના અને નામ મહિમાનાં પ્રકરણનું ગાન કરતાં બાપુએ કહ્યું રૂપ પકડમાં નહીં આવે,લીલા પણ સમજણમાં આવે એવી નથી,ધામમાં આપણે ક્યાં સુધી રહી શકશું!સૌથી સરળ,બધા માટે સરળ માત્ર નામ છે. નામની મહિમા અતિશય વિશેષ બતાવી છે.એ મંત્ર પણ છે અને નામ પણ છે.આમ રામનામનાં મહિમાનાં પ્રકરણનું ગાન કરીને કથા મંડપને નામ સંકીર્તન દ્વારા ડોલાવીને આજની કથાનો વિરામ થયો.


Spread the love

Check Also

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

Spread the loveવડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *