કોઈ વખાણ કે નિંદા કરે તો સહન કરો, દૂર્મુખ ના બનો

Spread the love

દર વખતે મોઢું બગાડીને જીવવું,નિંદા,ફરિયાદો સતત કરે એ દૂર્મુખ છે.

નિરંતર ક્રોધમાં રહીએ-દૂર્મુખ છે.

વારંવાર ખોટું બોલવાનું ચાલુ કરીએ,બીજાની પ્રગતિ જોઈને સારું ન લગાડીએ-એ દૂર્મુખ છે.

સુંદરકાંડની તિહાઇ:ધ્યાન,તિતિક્ષા અને પ્રતિક્ષા છે.

લંકાકાંડની તિહાઇ:મૈત્રી,જ્ઞાન અને સ્વયંપ્રભા છે.

હરિદ્વારમાં વહેતી ગંગામાં માનસિક સ્નાન કરીને આઠમા દિવસની કથામાં પ્રવેશ કરતા બાપુએ જણાવ્યું કે ઘડો પાણીમાં રહે ત્યારે વજન લાગતું નથી.મહાપુરુષોનાં આશીર્વાદના્ કૂવામાં ડૂબી રહીએ તો વજન નહીં લાગે.અહીં બધા જ લોકોનો મત એક નથી,પણ સત એક હોય છે.

પૂનાની કથા(માનસ નૃત્ય) ઓશોને અર્પણ કરી, કાઠમંડુ-તપોવન અને જબલપુરમાં પણ કથાગાન કર્યું પાટોત્સવમાં,મહુવાની બાજુમાં એક નાનકડા ગામનાં નાનકડા નેહડામાં સમજદાર સાક્ષરો આવ્યા.ઉમેર્યું કે બે મહાન ફિલોસોફરો-ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ અને જિદુ કૃષ્ણમૂર્તિની એક કથા-માનસ રાધા કૃષ્ણમૂર્તિ ગાવાનો મનોરથ છે.કેન્દ્રમાં તો કૃષ્ણ જ હશે.ક્યારે અને ક્યાં થશે એ કંઈ ખબર નથી.થાય તો હરિકૃપા ન થાય તો હરિઈચ્છા!

અમૃતની વાત શંકરાચાર્યએ કરી છે.કઈ ધારા,કયો કુંભ,શિખર,કળશ એ બધી અમૃતની સંજ્ઞા આપી છે. ગીતાનો પણ આશ્રય લેશું અને રાવણની નાભિમાં એક અમૃતકુંભ હતો તેમજ પંજાબની ગુરુભૂમિ અમૃતસર કેમ ભૂલીશું!

રાવણ કુંભકર્ણને ચાર મોટા દુશ્મન વિશે કહે છે. આમ તો રાવણ,કુંભકર્ણ,ઇન્દ્રજીત એ સાંકેતિક રૂપમાં દુશ્મન છે.જે મોહ,કામ,ક્રોધ,અહંકાર વગેરે છે પણ રાવણ સ્વયં કહે છે કે:દૂર્મુખ,સુરરિપુ,અતિકાય, મહોદય એવા ચારેય યોદ્ધાઓને રામ-લક્ષ્મણે નહીં પણ બંદર અને રીંછોએ એને માર્યા છે.આ બંદર અને રીંછ આપણા નાના-મોટા સાધન છે,જેણે આંતરિક શત્રુઓને હરાવ્યા છે.

કોઈ વખાણ કે નિંદા કરે તો સહન કરો.દૂર્મુખ ના બનો દર વખતે મોઢું બગાડીને જીવવું,નિંદા,ફરિયાદો સતત આવે એ દૂર્મુખ છે.નિરંતર ક્રોધમાં આપણે રહીએ દૂર્મુખ છે.વારંવાર ખોટું બોલવાનું ચાલુ કરીએ, બીજાની પ્રગતિ જોઈને સારું ન લગાડીએ એ દૂર્મુખ છે.સુરરિપુનો અર્થ દૈવી વિચારો એના ગુણોનો વિરોધી.એ મનુષ્યાહારી એટલે કે મનુષ્યતા,માનવતા નો નાશ કરે છે.અતિકાય-અકંપન:ચારે બાજુ ચાલતી હવાઓની સામે જે કંપન ના પામે એ અકંપન છે. મહોદર-મોટા પેટવાળો:જેને સંતોષ જ નથી. મહાભારતમાં આનું સમાધાન છે.જ્યારે આપણી સતત પ્રસંશા થાય ત્યારે અગ્નિહોત્રી બનીને એને સળગાવી દો.અકંપન રહેવા માટે સ્વાધ્યાય કરો. આદર સાથેનો યજ્ઞ એ મહોદર અને વધતા લોભનો ઉપાય છે.

સુંદરકાંડની તિહાઇ ધ્યાન,તિતિક્ષા અને પ્રતિક્ષા છે. બાપુએ એ ઇશારો પણ કર્યો કે પિઠોરિયા હનુમાનજીની કથા વખતે રામમંદિરનાં નિર્માણ વખતે ૧૯ કરોડ રૂપિયા ભેગા કરી આપેલા.પણ રૂપિયો બહુરૂપિયો છે!

એ પછી વિવેક ચૂડામણિનો એક મંત્ર:

મોક્ષસ્ય કાંક્ષા યદિ વૈ ત્વાસ્તિત્યજાતિદૂરાદ્વિષયાન્

વિષં યથા પિયૂષવત્તોષદયાક્ષમાર્જવ પ્રશાનિતિદાન્તીર્ભજ નિત્યમાદરાત્

-વિવેકચૂડામણિ

(હે સાધક!)જો તને મોક્ષની ઇચ્છા છે.તો વિષયોને વિષ સમાન દૂરથી ત્યાગી દે અને સંતોષ, દયા, ક્ષમા, સરળતા,શમ અને દમનું,અમૃત સમાન,નિત્ય આદર પૂર્વક સેવન કર.

છ વસ્તુ:સંતોષ,દયા,ક્ષમા,આર્જવ(વિનમ્રતા),પ્રશાંતિ સંયમ-આ બધાને ભજ,એનું નિત્ય સેવન કરવાથી અમૃત તરફ ગતિ થાય છે.

સુંદરકાંડનું સંક્ષિપ્ત સમાપન કરીને લંકાકાંડની તિહાઇ:મૈત્રી,જ્ઞાન અને સ્વયંપ્રભાની વાત કરી સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરવામાં આવી.

કાલે કથાની પૂર્ણાહૂતિ છે.

Box

કથા-વિશેષ:

વ્યાસ પીઠ બની-સપ્તપદી પીઠ.

આઠમો દિવસ,વૈદિક પરંપરામાં અષ્ટમમ દિવસનું ખુબ મહત્વ,એનો સંયોગ થયો.વ્યાસપીઠ માત્ર વચનાત્મક જ નહીં,સર્જનાત્મક અને રચનાત્મક પણ છે અને આગામી પેઢી માટે વ્યાસપીઠ પરમસ્થાન છે.

યુવા પેઢી મીટ લગાવીને બેઠી છે.આજે આનંદનો અવસર હતો.વ્યાસપીઠ સપ્તપદીની ભૂમિકામાં હતી મનોરથી પરિવારમાંથી સમીરભાઈ અને વીણાબેનની પુત્રી વૃક્ષા અને જગદીશભાઈ-ભાવનાબેનનો પુત્ર પ્રેમ વ્યાસપીઠની સાક્ષીએ લગ્નગ્રંથિથી જોડાયા, વ્યાસપીઠ સામે વરમાળા પહેરાવીને બાપુનાં આશીર્વાદ વખતે સપ્તપદીનું એક પદ,ખુબ સરસ રીતે સંકલન કરતા ભદ્રાયુભાઈ વચ્છરાજાનીએ મંગલાષ્ટકનાં એક અષ્ટકનું ગાન કરીને વૈદિક વિધિથી આખી વિધિ પૂરી કરી.

સાથે-સાથે કાઠમંડુનાં તપોવન આશ્રમથી પધારેલા

સ્વામી આનંદ અરુણે પોતાનું એક પુસ્તક વ્યાસપીઠ દ્વારા લોકાર્પિત કર્યું.પોતાનાં શબ્દભાવમાં જણાવ્યું કે ૨૦૦૨માં પૂજ્ય બાપુને ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ એવોર્ડ-પદ્મશ્રી એવોર્ડ અર્પણ થતો હતો પણ ખૂબ શાલીનતાથી અને નમ્રતાથી બાપુએ એનો અસ્વિકાર કર્યો અને કહેલું કે સાધુઓ માટે આ શોભા નથી.સાધુ પોતાની રીતે જ પોતે સન્માનિત છે-આવી એકમાત્ર વ્યક્તિ એ બાપુ છે.સાથે-સાથે વિશ્વભરમાં જેણે રામચરિત માનસને ફેલાવ્યું છે એવા બાપુ માટે પ્રાર્થના કરીએ કે એનું આયુષ્ય વધે.હજી તો ૨૫ ટકા દેશોમાં કથા થઈ છે,દુનિયાના તમામ દેશોમાં કથા પહોંચી શકે.

સાથે-સાથે મહુવા પાસેનાં ભાદરા-જ્યાં વીરબાઈજીનો નેસ(સ્નેહ શબ્દમાંથી નેહ અને એમાંથી નેહડો આવ્યો),ત્યાં પાટોત્સવ થયેલો એ વખતે સમગ્ર કાર્યક્રમનું ડોક્યુમેન્ટેશન જેના શિરે હતું એ ભદ્રાયુભાઈ દ્વારા સંકલિત એક પુસ્તક,એ વખતે બાપુએ કહેલું કે મારા માટે બોલાયેલું બધું કાઢીને પુસ્તિકા તૈયાર કરજો,એ જગતગુરુ સતુઆબાબા, શિવરામ બાપુ-કબીર આશ્રમ અને સ્વામીજીનાં હસ્તે વ્યાસપીઠને અર્પણ કરવામાં આવ્યું.

બાપુએ પણ હળવાશથી કહ્યું કે સપ્તપદીનાં મંત્રો પરમ નાગર બ્રાહ્મણ ભદ્રાયુભાઈએ ગાન કર્યા.ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કર્યો.

== સમાપ્ત ==


Spread the love

Check Also

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

Spread the loveવડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *