
અમદાવાદ, ગુજરાત | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | છેલ્લા ૩૫ વર્ષથી ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંગીત ક્ષેત્રે ડંકો વગાડનાર તેમજ ગુજરાતની ખૂબ જાણીતી માણભટ્ટ આખ્યાન પરંપરાના વાહક એવા ‘વ્યાસ બ્રધર્સ’ (ચેતન વ્યાસ, કલ્પેશ વ્યાસ, બિહાગ વ્યાસ અને નેતિ વ્યાસ) આ જન્માષ્ટમી પર લઈને આવી રહ્યા છે ‘નાદ – ભજન જેમિંગ’નો એક દિવ્ય અને અનોખો લાઇવ શૉ. ‘નાદ’ એ માત્ર સંગીતનો કાર્યક્રમ નથી, પરંતુ ભક્તિ અને ભાવનો એવો અદ્ભુત સમન્વય છે જે લોકોને સીધા પરમાત્મા સાથે જોડે છે.
આ વર્ષે ‘નાદ’ દ્વારા કૃષ્ણના વિવિધ સ્વરૂપો જેવાં કે શ્રીનાથજી, વિઠ્ઠલ અને બાંકે બિહારીના વિવિધ ભાવોને એક સંગીતમય યાત્રા દ્વારા રજૂ કરવામાં આવશે. શ્રોતાઓ માટે કૃષ્ણ જન્મોત્સવ, પારણા ઉત્સવ, મટકી ફોડ અને ફૂલોની હોળી જેવા સાંસ્કૃતિક પ્રસંગોનું આયોજન કરી ભક્તિની ભવ્ય ઉજવણી કરાશે.
પરંપરાગત ભક્તિ સંગીતના મૂળ રાગ, આત્મા અને ભાવને અકબંધ રાખીને તેની આસપાસ આધુનિક લાઇવ જેમિંગની ઊર્જા વણી લઈ નવું સંગીતમય એરેન્જમેન્ટ તૈયાર કરાયું છે.
કાર્યક્રમમાં ખાસ કરીને soulful ‘અચ્યુતમ્ કેશવમ્’, વૃંદાવનની અનુભૂતિ કરાવતું ‘મેરે બાંકે બિહારી લાલ’ અને જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાવતું ‘નંદ ઘેર આનંદ ભયો’ જેવાં લોકપ્રિય ભજનો રજૂ થશે. આ શૉનો મુખ્ય હેતુ શ્રોતાઓને માત્ર સાંભળનાર ન રાખતાં, તેમને પણ ગાયકી અને તાળીઓ સાથે સંગીતના અવિરત પ્રવાહમાં સક્રિય ભાગીદાર બનાવી કૃષ્ણ ભક્તિમાં ઝૂમાવવાનો છે.
આજના યુવા વર્ગને પોતાની પેઢી સાથે કનેક્ટ થાય તેવી શૈલીમાં ભક્તિનો આનંદ આપવો એ ‘નાદ’ની વિશેષતા છે. આ દિવ્ય અનુભવ દરેક વયના શ્રોતાઓ માટે એક અવિસ્મરણીય અને પ્રેરણાદાયી ભક્તિસભર સંગીત સફર બની રહેશે.
== સમાપ્ત ==
Aajna Samachar