
રાજધાની દિલ્હીથી વિરાટ કથા ૧૭ જાન્યુઆરીથી શરૂ થશે;વિષય હશે:માનસ સનાતન
ઋષિ એને કહે છે જેની પાસે વાણી છે,મુનિ પાસે મૌન હોય છે.
દેશને સાધુઓની બહુ જ જરૂર છે.
જે ગુરુ બિલકુલ સ્વતંત્રતા આપે તેની નીચે રહીને સાધના કરવી જોઈએ.
મુનિઓના મૌન ગહન સાગર જેવા હોય છે,જો બોલે તો નાદબ્રહ્મ છૂટે.
નવનિર્મિત શૃંગિધામ માટેની શૃંગી ઋષીની મૂર્તિનું બાપુનાં હસ્તે પ્રતિકાત્મક અનાવરણ થયું.
સૃંગી રિષિહિ બસિષ્ઠ બોલાવા;
પુત્રકામ સુભ જગ્ય કરાવા.
ભગતિ સહિત મુનિ આહુતિ દીન્હેં;
પ્રગટે અગિનિ ચરુ કર લીન્હેં
જો બસિષ્ઠ કછુ હ્રદય બિચારા;
સકલ કાજુ ભા સિધ્ધ તુમ્હારા.
-બાલકાંડ- દોહો ૧૮૯
આ પંક્તિઓનાં ગાયન બાદ લખીસરાય-બિહારથી ચાલતી રામકથાનાં આજ પૂર્ણાહૂતિ દિવસે ઉપસંહારક વાતો કરતા બાપુએ આ તપોભૂમિને પ્રણામ કરતાં અહીંની વ્યવસ્થા,જનતા,સ્વયંસેવકો પત્રકારો અને તમામ માટે તેમજ બિહાર માટે પોતાની પ્રસન્નતા અને સાધુવાદ વ્યક્ત કરતા કહ્યું કે ઘણું જ કહેવાનું છે પણ સમય ઓછો છે.
અહીં જે પંક્તિઓ લીધી એના વિશેની વાત કરતા બાપુએ કહ્યું કે વશિષ્ઠે શૃંગિને બોલાવ્યા,પુત્ર કામના યજ્ઞ કરાવ્યો,ભક્તિ સહિત આહુતિઓ અપાઇ અને અગ્નિ દેવ ખીરનો ચરૂ લઈને પ્રગટ થયા.
ઋષિ એને કહે છે જેની પાસે વાણી છે અને મુનિ પાસે મૌન હોય છે.બહુધા ઋષિ ગૃહસ્થ હોય છે. નગરમાં નહીં તો થોડે દૂર પોતાનું ગુરુકુળ બનાવીને રહે છે-જેમ કે વશિષ્ઠ.અને મુની દૂર તપોવનમાં એકાંતમાં રહે છે.દેશને સાધુઓની બહુ જ જરૂર છે. યુવા સાધુઓ ગુરુ પરંપરા નિભાવીને કોઈ કોઈ વિઘ્ન ન થાય એ રીતે ભજન માટે પોતાનું એક સ્વતંત્ર સ્થાન પણ બનાવી શકે છે.કોઈ સ્થાનક વાસી ન બને કે સંસ્થાન વાસી ન બને કારણ કે ત્યાં એમનો દબાવ અસર કરતો હોય છે.પોતાના ભજન માટે,ભારતીય સંસ્કૃતિ માટે સાધના માટે પોતાની વ્યવસ્થા કરે.
શૃંગી આ જ રીતે દૂર બેઠા છે.
વીણા,સિતાર,તંતુવાદ્ય,દિલરુબા,વાયોલીન,સારંગી આ બધાના તાર વગાડવા માટે મૃગ એટલે કે હરણના શિંગમાંથી નીકળતા એક ખાસ પ્રકારના પદાર્થમાંથી બનાવાય છે.એટલે શૃંગી સંગીત સાથે જોડાયેલા છે જે ગુરુ બિલકુલ સ્વતંત્રતા આપે તેની નીચે રહીને સાધના કરવી જોઈએ.મુનિઓના મૌન ગહન સાગર જેવા હોય છે.જો બોલે તો નાદબ્રહ્મ છૂટે.
ઋષિ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હોય છે.એટલે કે લૌકિક વ્યાખ્યા પ્રમાણે જે બ્રહ્મચારી છે એના કરતાં ગૃહસ્થી બ્રહ્મચારી-જેની પાસે કમંડળ અને દંડ લઈને એક ખાસ પ્રકારનું બ્રહ્મચર્ય પાળે છે.
મંત્રમાં બતાવ્યા પ્રમાણે જેના જીવનનું મુખ્ય કાર્ય તપ છે.કોઈપણના પગ પકડતા પહેલા ચારે બાજુ જુઓ પછી પગ પકડો અને પકડ્યા પછી સજદે મેં સર ઝૂકાયા તો ઉઠના હરામ હૈ.
હનુમાનજીએ પણ પરિચય પછી રામના પગ પકડ્યા છે.જલ્દી ન કરો,આપણે તરત ચરણ પકડી લઈએ છીએ,અપમાન પણ તરત કરી દઈએ છીએ.ઋષિ એ નિયમ પૂર્વક સંયમ નિભાવે છે.ઋષિ એ છે કે કદાચ કોઈ ભૂલ કરે તો શ્રાપ દેવાની ક્ષમતા તેમજ શ્રાપને અનુગ્રહમાં ફેરવી નાખવાની સમર્થતા પણ તેમાં હોય છે,સત્યની સાધના કરે છે.સતની ઉપર સદગુરુ છે કબીર કહે છે સત સાહેબ.તપ કરતાં કરતાં પાપનો અંશ પણ રહેતો નથી,વેદ અને વેદાંતનું તત્વ જાણે છે અને એવા ઋષિ શૃંગી છે.
અહીં જ્યારે શૃંગીધામ બની રહ્યું છે અને નાયબ મુખ્યમંત્રી તેમ જ ડીએમ સાહેબ અને બધા જ એમાં રસ લઈ રહ્યા છે ત્યારે ધામની પરિભાષામાં પાંચ પ્રકારના ધ કાર અને પાંચ પ્રકારના મ કારની વાત કરતા બાપુએ કહ્યું કે વિનય કરતો જાઉં કે આ ધામ પણ આવું બને.
જેમાં પાંચ પ્રકારના ધ કાર:
૧-ધાન્ય હોય:દર્શન કરવા આવે એને રોટી મળવી જોઈએ.૨-ધ્યાન લાગી જાય.૩-ધન્યતાનો બોધ લાગવા માંડે.૪-ધારક ભૂમિ હોય-જેમ કે આ ભૂમિએ સીતાને ધારણ કરેલા.૫-ઉદ્યાન હોવું જોઈએ.
એ જ રીતે પાંચ મ કારમાં:૧-મંત્ર હોય:અહીં પૂરો અથર્વવેદ પડ્યો છે.૨-મંત્રનું મનન હોય.૩-મંત્રનું મંથન હોય:હળ ચલાવીને જનક રાજાએ ભૂમિનું મંથન કર્યું છે.૪-મનન હોય.અને ૫-આપજો કહો તો મારુતિની મૂર્તિ અમે મોકલાવી દેશું-અહીં મારુતિ હોય.
ધામની આ નાનકડી સૂત્રાત્મક પરિભાષા છે.રામનો ઈશ્વર કોણ?શિવ તો છે જ.પણ રામનું પૂજ્ય અને સેવ્ય એ છે જે સેતુબંધ કરાવે છે,સમાજને જોડે છે. રામેશ્વરની સ્થાપના પછી લંકામાં પ્રવેશ,અંગદની સંધિ નિષ્ફળ રહી,ઘમાસાણ યુદ્ધ પછી ૩૧ બાણ ચડાવીને રામે છોડ્યા ત્યારે પહેલી અને છેલ્લી વખત રામ ક્યાં છે!એવી ગર્જના કરીને રાવણ પડ્યો,તેનું તેજ રામના મુખમાં વિલીન થયું.પુષ્પક આરૂઢ થઈને અયોધ્યા પહોંચ્યા અને વશિષ્ઠએ રામના ભાલ પર રાજતીલક કર્યું.
એ પછી ભશુંડી ચરિત્ર અને ગરુડના સાત પ્રશ્નો બાદ ચારેય ઘાટની કથાને વિરામ આપ્યો અહીં પણ કથાનું સુફળ શૃંગી ઋષિના ચરણોમાં વિરામ આપીને અંતે ઉપમુખ્યમંત્રી,ડીએમ સાહેબ તેમજ અશોક ધામનાં ટ્રસ્ટીઓ દ્વારા બાપુના હસ્તે અહીં જે મહોત્સવ જેમાં સાત મહોત્સવ અને પાંચ ઉત્સવો ઉજવવા જઈ રહ્યા છે અને શૃંગીઋષિની પ્રતિમાનું અનાવરણ કરાવીને આજની કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી.
હવે પછીની-૯૭૧મી કથા વિરાટ,ન ભૂતો ન ભવિષ્યતિ એવી અલૌકિક બની રહે એવું આયોજન પ્રસિધ્ધ જૈનાચાર્ય લોકેશ મુનિ દ્વારા થઇ રહ્યું છે.વિશાળ રાજકીય,ધાર્મિક મહાનુભાવોની હાજરીમાં આ કથા આગામી ૧૭ જાન્યુઆરીથી નવી દિલ્હી ખાતે ગવાશે.આ કથાનો વિષય રહેશે:માનસ સનાતન.
જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ તેમજ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબનાં માધ્યમથી નિયત નિયમિત સમયે જોઇ શકાશે.
===◊◊◊◊===
Aajna Samachar