ગુજરાત, અમદાવાદ ૦૪ નવેમ્બર ૨૦૨૪: સોમવારે સવારે ઉતરાખંડના અલમોડા તાબાના મોરચુલા અને કુપી નજીક અત્યંત દુઃખદ બસ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૨૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે. અલમોડાના કિનાથથી રામનગર જઈ રહેલી પેસેન્જર બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી અને તેમાં ૨૨ લોકોનાં મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પંજાબ સ્થિત રામકથાના શ્રોતાઓ આ ઘટનાની વિગતો એકઠી કરી રહ્યા છે અને માર્યા ગયેલાઓના પરિવારજનોના બેંક એકાઉન્ટ નંબર મેળવી ટ્રસ્ટ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે.
પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
Aajna Samachar